માછલીનું મૃત્યુ – રણથંભોર અભ્યારણ માટે શોક


માછલીનું મૃત્યુ – રણથંભોર શોકમગ્ન

એક તરફ સાક્ષી મલિકે ભારત માટે કાંસ્ય ચંદ્રક જીત્યાનો ખુશીનો માહોલ હતો, ત્યાં જ રણથંભોરથી શોકજનક સમાચાર આવ્યા કે, માછલીનું મૃત્યુ થયું છે. યસ્સ માછલી એટલે રણથંભોરની માનીતી અને જાણીતી વાઘણ. વિશ્વની સૈાથી વૃધ્ધ વાઘણ અને સૌથી વધુ ફોટોગ્રાફ જેના લેવાયા છે, એવી વાઘણ.
સામાન્ય રીતે વાઘ- વાઘણનું આયુષ્ય પંદેરક વર્ષ હોય છે. પરંતુ એ મર્યાદા ઓળંગીને માછલીએ 19 વર્ષ સુધીનું આયુષ્ય ભોગવ્યું છે.માથા પર માછલી જેવું ચિહ્ન હોવાને કારણે તેનું નામ માછલી પડયું હતું. તે સૈા પહેલાં ઝાલારા વિસ્તારમાં જોવા મળી હતી. એ પછી તો તેણે રાજબાગ, તાબાખાન, પદમ તળાવ અને મિલક તળાવ વિસ્તારને પોતાનો બનાવી દીધો હતો. માછલીનું આકર્ષણ એટલા માટે વધુ હતું કે આ સદીની શરૂઆતમાં રણથંભોરમાં વાઘની વસ્તી ઘટી રહી હતી અને એ અભ્યારણમાં ભાગ્યેજ તેના દર્શન થતા હતા, તેથી કંટાળેલા પ્રકૃત્તિપ્રેમીઓ રણથંભોર આવતા બંધ થવા માંડયા હતા. યાદ રહે કે 2000ની સાલમાં અહીં ફક્ત 15 વાઘ હતા, જ્યારે આજે પચાસથી વધુ વાઘ જોવા મળે છે.
આજે રણથંભોરમાં જે વાઘો જોવા મળે છે, તેને માટે પણ આપણે માછલીનો જ આભાર માનવો પડે.માછલીએ તેના આયુષ્ય દરમ્યાન એક બે નહીં પૂરા અગિયાર બચ્ચાંઓને જન્મ આપ્યો હતો. આજે એ વંશવેલો આગળ વધી ગયો છે. એમ કહેવાય છે કે આજે રણથંભોરમાં જોવા મળતા વાઘોમાંથી 60 ટકા વાઘો તો માછલીના વંશજ જ છે. માછલીએ 7 વાઘણ અને 4 વાઘને જન્મ આપ્યો હતો. આજે એ બાળકોના પેઢી આગળ વધી રહી છે.માછલીના આગમન અને પ્રજોપ્તિ પછી રણથંભોરમાં વાઘો નજરે પડવા માંડયા હતા, તેથી સહેલાણીઓ ફરીથી મુલાકાતે આવવા માંડયા હતા. છેલ્લા દસ વર્ષ દરમ્યાન માછલી તથા તેના પરિવારને કારણે સહેલાણીઓની મુલાકાત વધી હતી અને તેથી જ રણથંભોર અભ્યારણને દર વર્ષે 6 કરોડની આવક થતી હતી.

માછલી એટલી માનીતી થઇ ગઇ હતી કે તેની તો ટપાલ ટીકીટ પણ બની છે અને તેના ઉપર કેટલીય ડોક્યુમેન્ટરી પણ બની છે. બે વર્ષ પહેલાં તે મગર સામે પણ જંગે ચઢી હતી અને એ વખતે પણ તે બચી ગઇ હતી. વેલ,સામાન્ય રીતે વાઘનું આયુષ્ય પંદરેક વર્ષ હોય છે. માછલી 19 વર્ષની થઇ હતી. છેલ્લા કેટલાક વખતથી તે વૃધ્ધાવસ્તાને કારણે બિમાર રહેતી હતી. એ વખતે તેની ખાસ કાળજી રખાતી હતી, તેના ઉપર પળેપળ નજર રખાતી હતી. આખરે, અમાઘાટી વિસ્તારમાં તે પાંચેક દિવસથી જીવન સામેનો જંગ લડી રહી હતી. પાંચ દિવસથી તેણે ખોરાક લેવાનું બંધ કરી દીધું હતું. તેને ખવડાવવા માટેના પ્રયાસો પણ નિષ્ફળ ગયા હતા અને આજે સવારે 9.58 કલાકે તેનું કુદરતી મૃત્યુ નીપજ્યું ત્યારે વન્યજીવન પ્રેમીઓએ તેમના પરિવારનું એક સભ્ય ગુમાવ્યું હોય એવો શોક લાગે એ સમજી શકાય એમ છે.

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

જમાઇ રાજા વાડ્રા માટે દિવસો ભારે આવી રહ્યા છે

મોદીનું ટીટ ફોર ટેટ – પાકિસ્તાનને ચીટીંયો ભર્યો

જયારે સિંગાપોરના તારનમે મોદી તથા તેમના મંત્રીઓને પાઠ ભણાવ્યા